10 ટકા રાક્ષસી વ્યાજ વસૂલ્યા પછી વધુ નાણાં પડાવવા યુવાન અને માતા-પિતાને માર માર્યો: ત્રણ શખ્સ સામે રાવ
જામનગર મોર્નિંગ - જામનગર
જામનગરમાં સાધના કોલોની વિસ્તારમાં ગાંઠિયાની રેંકડી ચલાવતા એક ધંધાર્થી ત્રણ વ્યાજખોરોની ચુંગલમાં ફસાયા છે. જેને 10 મહિના સુધી 10 ટકા જેટલું રાક્ષસી વ્યાજ ચૂકવ્યા પછી ત્રણેય વ્યાજખોરોએ વધુ નાણાં પડાવવા માટે તેમજ છોડાવવા માટે વચ્ચે પડેલા તેના વૃધ્ધ માતા-પિતાને પણ માર માર્યાની પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે.
મળતી વિગત મુજબ જામનગરના સાધના કોલોની વિસ્તારમાં રહેતા અને પહેલા ઢાળીયા પાસે ગાંઠીયાની રેંકડી ચલાવતા ભરતભાઈ હસમુખભાઈ રાયઠઠા નામના 43 વર્ષના ધંધાર્થીએ પોતાની પાસેથી 10 ટકા જેવું રાક્ષસી વ્યાજ વસૂલવા મારકૂટ કરવા અંગે જામનગરના મયુર ગ્રીન્સ વિસ્તારમાં ફાઇનાન્સની ઓફિસ ધરાવતા મહાવીરસિંહ દેવાજી જાડેજા અને તેની સાથેના મયુરસિંહ તથા એક અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ભરતભાઈને પોતાની જરૂરિયાત માટે દસ મહિના પહેલા મહાવીરસિંહ જાડેજા પાસેથી 30,000 રૂપિયા માસિક 10 ટકાના વ્યાજે લીધા હતા. જેનું દર મહિને વ્યાજ ચુકવતા હતા, ઉપરાંત જો વ્યાજ ચુકવવામાં થોડું પણ મોડું થતું તો તેની પેનલ્ટી પણ વસુલ કરવામાં આવી હતી. હાલમાં વ્યાજખોરોએ પોતાની ઓફિસમાં બોલાવી લઇ પોતાની મૂળ રકમ તાત્કાલિક પરત માંગતા રેંકડી ધારકે હાલ પોતાની પાસે કોઈ રકમ ન હોવાથી વ્યાજ ચૂકવી આપીશ તેમ જણાવતા સૌપ્રથમ મોબાઈલ અને એક્ટિવા આંચકી લીધા હતા. તેથી ભરતભાઈએ પોતાના માતા મંજુલાબેન તથા પિતા હસમુખભાઈને પણ તેઓની ઓફિસમાં બોલાવી લીધા હતા.
જે વૃધ્ધ માતા-પિતા પુત્રને મદદ માટે આવ્યા હતા દરમિયાન ત્રણેય લોકોએ તેઓને પણ મારકૂટ કરી લીધી હતી અને માતા મંજુલાબેનનો મોબાઈલ ફોન પણ વ્યાજખોરોએ આંચકી લીધો હતો. જે સમગ્ર મામલો પોલીસ મથકમાં લઇ જવાય બાદ દિગ્વિજય પ્લોટ પોલીસ ચોકીના પીએસઆઈ એમ.કે. બ્લોચ અને તેમના રાઇટર જયેશભાઈએ ત્રણેય વ્યાજખોરો સામે ગેરકાયદે નાણાં ધીરધાર સહિતની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધ્યો છે અને સમગ્ર મામલે ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે.
0 Comments
Post a Comment